‘બાંગ્લાદેશ ન જતા નહિતર ત્રાસવાદી હુમલાનો શિકાર થશો’, ઇંગ્લેન્ડની તેના નાગરિકોને સલાહ
– જેઓ ઈસ્લામે દર્શાવેલી જીવન પદ્ધતિ ન અનુસરતા હોય તેઓ ઉપર IES દ્વારા પણ હુમલાઓ થાય છે, માટે ત્યાં જવું યોગ્ય નથી
લંડન : ઈંગ્લેન્ડે તેના નાગરિકોને બાંગ્લાદેશ નહીં જવા સલાહ આપી છે.
કારણ કે ગમે ત્યારે ગમે ત્યાંથી ત્રાસવાદી હુમલા થવાનો ભય રહેલો છે.
મંગળવારે અપાયેલી ”ટ્રાવેલ એડવાઈઝરી”માં જણાવવામાં આવ્યું છે કે વિદેશી નાગરિકોને તો ખાસ કરીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
વિશેષત: ભાડ-ભીડવાળામાં સ્થાનોએ, ધાર્મિક સ્થળોએ અને રાજકીય નેતાઓના નિવાસસ્થાનો પાસે આવા હુમલા પણ મોટા પ્રમાણમાં થાય છે.
તેમ પણ તે એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે.
બાંગ્લાદેશમાં શેખ હસીનાએ પદ ત્યાગ કર્યો અને ભારતમાં આશ્રય લીધો ત્યાર પછી તો બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર કાળો કેર વરસી રહ્યો છે.
હિન્દુઓ ઉપર થતા જુલ્મો પછી ખ્રિસ્તિઓ, પારસીઓ, શિખો અને ગણ્યા-ગાંઠયા યહૂદીઓ પણ ઝનૂની કટ્ટર પંથીઓ નિશાન બનાવી રહ્યા છે.
નવેમ્બરની ૨૫મીએ ઈસ્કોનના સાધુ ચિન્મોય કૃષ્ણદાસની રાજ્ય દ્રોહના અપરાધસર ધરપકડ પણ કરાઈ હતી.
તે પછી તેઓની જામીન અરજી પણ કોર્ટે સ્વીકારી ન હતી.
કૃષ્ણદાસની ધરપકડ પછી તો બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર કાળો કેર વરસી રહ્યો છે.
યુ.કે.એ તેની એડવાઈઝરીમાં જણાવ્યું છે કે પોલીસ કે સેનાઓના સૈનિકો પણ બાંગ્લાદેશમાં લઘુમતિઓને બચાવવા ખાસ પ્રયત્નો કરતા નથી.
તેથી સુરક્ષા સામે (વિદેશીઓ માટે) ભય ઉપસ્થિત થઈ રહ્યો છે. તેથી ત્યાં જવું નહીં.
