નરેન્દ્ર મોદી સરકાર દ્વારા વકાફ કાયદામાં કરાયેલ સુધારાઓ પછી વકાફ સંપત્તિઓ ફરી ચર્ચામાં છે. આ વચ્ચે ગુજરાતમાંથી એક ચોંકાવનારી માહિતી બહાર આવી છે – છેલ્લા ત્રણ વર્ષથી રાજ્યમાં વકાફ સંપત્તિઓમાંથી એક રૂપિયાની પણ આવક થઈ નથી.
કેવી સ્થિતિ છે ગુજરાતમાં?
વકાફ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ ઑફ ઇન્ડિયા (WAMSI) મુજબ, ગુજરાતમાં કુલ 45,358 વકાફ સંપત્તિઓ છે, જેમાંથી 39,940 અસ્થાવર અને 5,480 ચલ સંપત્તિઓ છે. વર્ષ 2018-19માં વકાફ સંપત્તિમાંથી રાજ્યને રૂ. 19.78 કરોડની આવક થઈ હતી. પરંતુ 2021-22થી શરૂ કરીને છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં આ આવક ઘટીને શૂન્ય થઈ ગઈ છે.
વર્ષ 2019-20માં આવક રૂ. 4.94 કરોડ હતી, 2020-21માં તે ઘટીને રૂ. 4.53 કરોડ થઈ અને 2021-22માં માત્ર રૂ. 3.61 કરોડ રહી. હવે છેલ્લા ત્રણ વર્ષથી આવક “શૂન્ય” જાહેર કરવામાં આવી છે.
આ માહિતી સ્વયં કેન્દ્ર સરકારના અલ્પસંખ્યક વિભાગ દ્વારા ચલાવાતી WAMSI વેબસાઇટ પરથી લેવામાં આવી છે, એટલે તેની સચોટતા પર શંકાની કોઈ જગ્યાની નથી.
ગૂગલ પર ગુજરાત વકાફ બોર્ડ શોધો તો કાયદા વિભાગ મળે! ગુજરાત રાજ્ય વકાફ બોર્ડ હોવા છતાં તેની વેબસાઇટ પર કોઈ ઉપયોગી માહિતી નથી. હોમ પેજ પર માત્ર ઇતિહાસ લખેલો છે અને બીજા વિભાગ પર ક્લિક કરતાં કાયદા વિભાગની વિગતો ખુલે છે. બોર્ડ કયાં આવેલી છે, કોની નિમણૂક છે, ફોન નંબર કે ઈમેઈલ – કંઈ જ ઉપલબ્ધ નથી. ડિજિટલ ઇન્ડિયાની વાતે વચ્ચે સરકારના વિભાગોની આવી હાલત નિરાશાજનક છે.
