કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી સમગ્ર દેશમાં ચિંતાનો માહોલ છે. એ વચ્ચે ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં, પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શનિવારે વહેલી સવારે 3 વાગ્યે શરૂ થયેલી ઓપરેશનમાં, અમદાવાદમાંથી 890 અને સુરતમાંથી 134 લોકો મળી કુલ 1,024 બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદે વસવાટ કરતા હોવાના આરોપે અટકાયત કરવામાં આવ્યા છે.
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ આ કાર્યવાહી ને “ઇતિહાસિક વિજય” કહીને પોલીસે ગેરકાયદે વસેલા પર “લાલ આંખ” દેખાડી છે એવું જણાવ્યું છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને અન્ય ટીમોએ મળીને ચંદોલા તળાવ વિસ્તાર સહિતના ભાગોમાં મોટાપાયે કમ્બિંગ ઓપરેશન કર્યું. શરૂઆતમાં લગભગ 400 લોકો ઝડપાયા હતા, પણ બપોર સુધીમાં આ આંકડો 890 પર પહોંચી ગયો હતો.
આટલા બધા લોકોને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડમાં રોકવામાં આવ્યા અને ત્યાંથી શહેરના રસ્તાઓ પર લંબાયેલા કાફલા સાથે ક્રાઇમ બ્રાંચના મુખ્ય મથક, ગાયકવાડ હવેલી સુધી લાવવામાં આવ્યા. આ દરમિયાન ડ્રોનથી વીડિયો પણ લેવાયો હતો.
પછી રાજ્યભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓની એક વિડીયો કોન્ફરન્સ યોજાઈ જેમાં પોલીસ વડા વિકાસ સાહે અને રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા.
