
પાકિસ્તાન, જે પહેલગામમાં થયેલા આતંકી હુમલાઓ અને નિર્દોષ લોકોના હત્યાકાંડ પાછળનો મુખ્ય સુત્રધાર છે, હવે ભારતથી ડરી ગયું છે. પાકિસ્તાનના અનેક નેતાઓ કહી રહ્યા છે કે ભારત કોઈપણ સમયે યુદ્ધ શરૂ કરી શકે છે. ડરના માહોલ વચ્ચે પાકિસ્તાને પોતાની સુરક્ષા માટે મોટો પગલાં ભર્યું છે. દેશની બે મહત્વપૂર્ણ શહેરો – ઇસ્લામાબાદ અને લાહોરને નૉ-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
2 મે સુધી ફ્લાઈટ પર પ્રતિબંધ
મળતી માહિતી મુજબ, પાકિસ્તાને NOTAM (નોટિસ ટુ એરમેન) જારી કરીને 2 મે સુધી ઇસ્લામાબાદ અને લાહોર ઉપર વિમાનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ બંને શહેરો પાકિસ્તાન માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વના છે.
પાક મંત્રીનો દાવો – 24 થી 36 કલાકમાં હુમલો થઈ શકે
પાકિસ્તાનના માહિતી પ્રધાન અતાઉલ્લાહ તારરે મધરાતે 2 વાગ્યે પત્રકાર પરિષદ કરી દાવો કર્યો કે ભારત આગામી 24 થી 36 કલાકમાં હુમલો કરી શકે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદનો ભોગ બન્યું છે અને અમને આ દુઃખની લાગણી ખરા અર્થમાં સમજાય છે. અમે હંમેશા વિશ્વ સમક્ષ આતંકવાદની નિંદા કરી છે.
એલઓસી પર સતત ગોળીબાર
જમ્મુ-કાશ્મીરની એલઓસી પર પાકિસ્તાની સૈના સતત ગોળીબાર કરી રહી છે. ભારતીય સૈના પણ તેને કડક જવાબ આપી રહી છે. ગઇકાલે વડાપ્રધાન મોદીએ રક્ષાખાતાના અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી અને સેનાને જરૂરી પગલાં લેવા માટે છૂટ આપવાનો સંકેત આપ્યો હતો.






