પહેલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, પાકિસ્તાન માટે મૂડીઝની ચેતવણી
22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આ હુમલા પછી ભારતે પાકિસ્તાન પર કડક પગલાં લીધાં છે. ભારતે ‘ઇન્દસ વોટર ટ્રિટી’ અટકાવી દીધી છે અને વિઝા સહિત તમામ વ્યવહારો બંધ કર્યા છે. બીજી તરફ, પાકિસ્તાને પણ ભારત માટે પોતાનું હવાઇ ક્ષેત્ર બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
મૂડીઝે પાકિસ્તાનના અર્થતંત્ર અંગે ચિંતા વ્યક્ત કરી
આજે જ્યારે પાકિસ્તાન ખસ્તાહાલ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, ત્યારે રેટિંગ એજન્સી મૂડીઝે પણ તેની ચિંતા વધારી છે. તેની તાજેતરની વાર્ષિક રિપોર્ટ મુજબ, “જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય, તો ભારતના અર્થતંત્ર પર ખાસ અસર નહીં પડે, પણ પાકિસ્તાનની સ્થિતિ ખરાબ થઇ જશે.”
પાકિસ્તાન માટે તો યુદ્ધ એક મોટો આર્થિક ઝટકો સાબિત થઈ શકે છે. તેની વિદેશી કરજની સ્થિતિ પહેલેથી જ નાજુક છે અને યુદ્ધ બાદ તેનાથી ઊબરવુ વર્ષો સુધી મુશ્કેલ બની જશે. પાયમાલ થવાના આ અણસારથી પાકિસ્તાની સરકારની ચિંતા વધી છે.
પાકિસ્તાનની નબળી નિકાસ અને ભારત સાથેના નરમ વ્યવહારો
મૂડીઝે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે વર્ષ 2024માં પાકિસ્તાને કુલ નિકાસમાંથી 0.5 ટકા કરતાં ઓછું ભારત તરફ નિકાસ કર્યું છે. એટલે યુદ્ધથી ભારતના વેપાર પર ખાસ અસર નહીં થાય. પરંતુ પાકિસ્તાન માટે આ તણાવ તેના વિકાસ અને નાણાકીય સ્થિરતાને અસર કરશે. પાકિસ્તાનની હાલની આર્થિક નીતિઓ અને એના વિકાસ લક્ષ્યાંકો પાછા ફરે તેવી શક્યતાઓ છે.
જંગની ધમકી આપે છે પાકિસ્તાન, પરંતુ પરિણામો ભયંકર હોઈ શકે છે
જ્યાં ભારતની તરફથી કોઈ યુદ્ધ અંગે ખુલ્લી જાહેરાત નથી થઇ, ત્યાં પાકિસ્તાનના વડાપ્રધાન સહિત અનેક નેતાઓ યુદ્ધની ધમકીઓ આપી રહ્યા છે. પાકિસ્તાન વિશ્વભરના દેશો સાથે સંપર્કમાં છે કે ભારત સાથેના તણાવને ઓસરાવી શકાય. તેમ છતાં, તે સરહદ પર સૈન્ય તૈનાત કરીને તડામાર તૈયારીઓ પણ કરી રહ્યો છે.
