🇮🇳 ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ: લક્ઝરી કારથી લઈ ટેક્સટાઈલ સુધી થશે મોટો લાભ
ભારત અને યુકે વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર થયા છે. આ કરાર અંતર્ગત બંને દેશોએ વેપાર અને ઈકોનોમિક સંબંધો વધુ મજબૂત બનાવવાનો માર્ગ ખોલ્યો છે. ખાસ કરીને બ્રિટનમાં બનેલી લક્ઝરી કાર હવે ભારતીય બજારમાં ઘણી વધુ સસ્તી મળશે.
હાલમાં ભારત લાવવામાં આવતી બ્રિટિશ કાર પર લગભગ 100% થી વધુ આયાત કર વસૂલવામાં આવે છે. પરંતુ હવે આ નવી એગ્રીમેન્ટ અનુસાર ડ્યૂટી માત્ર 10% રહેશે. જેના કારણે જેગુઆર, લેન્ડ રોવર, બીએમડબ્લ્યૂ મીની, રોલ્સ રોય્સ અને એસ્ટન માર્ટિન જેવી લક્ઝરી કાર હવે સામાન્ય ગ્રાહક માટે વધુ સસ્તી અને સુલભ બનશે.
બ્રિટિશ મોટરસાયકલ બ્રાન્ડ નોર્ટન, જેને ટીવીએસ ધરાવે છે, તેને પણ વિક્રેતામાં વધારો થવાની શક્યતા છે.
માત્ર કાર જ નહીં, પણ સ્કોચ વ્હિસ્કી પર લાગતી 150% ડ્યૂટી પણ આગામી દસ વર્ષમાં ઘટાડી 40% કરવામાં આવશે. આથી વિદેશી વ્હિસ્કી પ્રેમીઓ માટે પણ હવે ખુશખબર છે.
📈 વેપારમાં વિસ્ફોટ : £26 અબજનો વધારાનો અંદાજ
આ કરારના કારણે 2040 સુધીમાં ભારત અને યુકે વચ્ચેનો વાર્ષિક વેપાર આશરે 25.5 અબજ પાઉન્ડથી વધુ વધશે. હાલમાં બંને દેશો વચ્ચે 42.6 અબજ પાઉન્ડનો દ્વિપક્ષીય વેપાર થાય છે.
FTAના માધ્યમથી ભારતથી થતી 99% નિકાસ પર ટેરિફ દૂર થશે, જેને કારણે ભારતીય ટેક્સટાઈલ, મરીન ફૂડ, લેધર પ્રોડક્ટ અને ઓટો કમ્પોનન્ટ જેવા સેક્ટરને સીધો લાભ મળશે.
વિશેષ કરીને ટેક્સટાઈલ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને યુકે માર્કેટમાં વિસ્તારનો અનોખો મોકો મળશે.
🛂 ઈમિગ્રેશન પોલિસીમાં સરળતા
આ કરાર સાથે સાથે પ્રોફેશનલ્સ માટે ઈમિગ્રેશન પોલિસીમાં પણ સરળતા લાવવામાં આવશે. વિઝા પ્રક્રિયાઓ સરળ બનશે અને વર્તમાન નીતિમાં કોઈ મોટું ફેરફાર કર્યા વિના જ વધુ સહયોગ મળશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન કીર સ્ટારમરે આ કરારને ભવિષ્યની ગાઢ ભાગીદારી માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. બ્રિટનના યુરોપિયન યુનિયનથી બહાર નીકળ્યા બાદ આ કરાર બંને દેશો માટે સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે.
