ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા તણાવ અને યુદ્ધ સમાન પરિસ્થિતિ વચ્ચે, હવે યુદ્ધવિરામની જાહેરાત થઈ છે. 10 મેના રોજ બંને દેશોના DGMO (ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ) વચ્ચે બપોરે 3:35 વાગ્યે વાતચીત થઈ. ત્યારબાદ, સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામ બેસી ગયો છે.
આ મહત્વના નિર્ણયો બાદ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી. તેમણે ખુશી વ્યક્ત કરતાં કહ્યું, “આ નિર્ણયને હું દિલથી આવકારું છું. દેર સે આયે, દુરસ્ત આયે.” તેમણે કહ્યું કે પાકિસ્તાનના DGMOએ ભારતમાં ફોન કરીને યુદ્ધવિરામની પુનઃસ્થાપનાની રજૂઆત કરી હતી, જે મહત્વપૂર્ણ પગલું છે.
મુખ્યમંત્રી ઓમરે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારનું કર્તવ્ય છે કે નુકસાન થયેલા વિસ્તારોમાં સમીક્ષા કરીને યોગ્ય સહાય પૂરી પાડી શકાય. પૂંછ, રાજોરી અને કંધાર જેવા વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. સરકારે જાહેરાત કરી છે કે જ્યાં લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવશે અને સહાય પણ આપવામાં આવશે. જેમના પરિવારજનોએ જીવ ગુમાવ્યો છે, તેમને પણ સહાય આપવામાં આવશે.
યુદ્ધવિરામની જાહેરાત પછી એરપોર્ટ શરૂ કરવાનો પ્રયાસ ઝડપથી કરવામાં આવશે જેથી લોકો ખાસ કરીને હજ માટે મુસાફરી કરી શકે.
વિદેશ મંત્રાલયે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, ભારતે પોતાની શરતો સાથે યુદ્ધવિરામ લાગુ કર્યો છે.
યુદ્ધવિરામની પૃષ્ઠભૂમિ તરીકે, 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોનાં મોત થયા હતા. ત્યારબાદ, ભારતીય સેના દ્વારા “ઓપરેશન સિંદૂર” હાથ ધરવામાં આવ્યું અને પાકિસ્તાન તથા PoKમાં સ્થિત 9 આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી.
પાકિસ્તાને તેના જવાબમાં 8 મેની રાત્રે જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં મિસાઇલ અને ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો.
