વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો લીધો નિર્ણય? BCCI પાસે અપીલ નકારાઈ?
ભારતીય ક્રિકેટમાં મોટો ભુંકંપ જોવા મળી રહ્યો છે. પહેલા કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું અને હવે વિરાટ કોહલી વિશે પણ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, કોહલીએ ઈંગ્લેન્ડ સામેની આગામી 5 ટેસ્ટ મેચોની સિરીઝ પહેલાં પોતાનું નિર્ણય BCCIને જણાવી દીધું છે કે તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો ઈરાદો રાખે છે.
સૂત્રો જણાવે છે કે વિરાટ કોહલીએ પોતાનું મન બનાવી લીધું છે અને BCCIને નિવૃત્તિ અંગે જાણકારી આપી છે. જોકે, BCCIના અધિકારીઓએ તેમને નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે, કારણ કે આગળ ઇંગ્લેન્ડ જેવી મુશ્કેલ ટેસ્ટ સિરીઝ આવનાર છે. આ અપીલનો કોહલીએ હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી.
આના થોડા દિવસ પહેલાં, 7 મેના રોજ, હિટમેન રોહિત શર્માએ પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી મારફતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે લખ્યું હતું કે હવે તે રેડ બોલ ક્રિકેટમાં ન રમે. જોકે, તેણે સ્પષ્ટ કહ્યું કે તે વનડે ક્રિકેટ રમતો રહેશે. રોહિતે 2024ના T20 વર્લ્ડ કપ પછી T20Iમાંથી પણ સંન્યાસ લીધો હતો. કોહલીએ પણ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20Iને અલવિદા કહ્યું હતું.
અત્યારે, બંને દિગ્ગજ ખેલાડીઓ IPLમાં રમતા જોવા મળ્યા છે. પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે કેટલાક મેચો હાલ મુલતવી રાખવામાં આવ્યા છે. cricket ફેન્સ માટે રાહતની વાત એ છે કે RO-KOની જોડી હજુ પણ ODI મેચોમાં એકસાથે જોવા મળશે.
