સુપ્રીમ કોર્ટે આજ રોજ એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે, જેમાં શ્રીલંકાના નાગરિકની ભારતમાં શરણ લેવા સંબંધિત અરજી ફગાવી દેવામાં આવી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “ભારત કોઈ ધર્મશાળા નથી કે જ્યાં વિશ્વભરના નાગરિકોને આશ્રય આપવો પડે.”
ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે સુનાવણી દરમિયાન પૂછ્યું, “શું દુનિયાભરમાંથી આવતા તમામ શરણાર્થીઓને ભારત આશ્રય આપી શકે? આપણે તો પહેલેથી 140 કરોડ નાગરિકોની જરૂરિયાતો પૂરી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ.”
આ મામલો એવા વ્યક્તિ સાથે સંબંધિત છે, જેને 2015માં શ્રીલંકામાં આતંકવાદી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE) સાથે સંબંધ હોવાના શંકા પર ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને UAPA (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) અને ફોરેનર્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
2018માં ટ્રાયલ કોર્ટે તેને 10 વર્ષની સજા ફટકારી હતી. 2022માં મદ્રાસ હાઈકોર્ટે સજા ઘટાડીને 7 વર્ષ કરી, અને તેમને સજા પૂરી થયા પછી ભારત છોડવા તથા દેશનિકાલ પહેલાં શરણાર્થી શિબિરમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
અરજદારે દલીલ કરી હતી કે જો તેને શ્રીલંકા પાછા મોકલવામાં આવશે તો તેના જીવને ગંભીર જોખમ છે. જોકે, બેન્ચે આ દલીલ નકારી કાઢી અને કહ્યું, “બીજા કોઈ દેશમાં જાઓ.”
આ નિર્ણય ભારતના શરણાર્થી નીતિ અને આંતરિક સુરક્ષા મુદ્દે ઉચ્ચ ન્યાયાલયના સ્પષ્ટ વલણને દર્શાવે છે.
