બંગાળમાં રાજકીય તાપમાન ઊંચું: PM મોદીનો મમતા પર જોરદાર હુમલો, મમતા બેનર્જીનો પણ કડક જવાબ
પશ્ચિમ બંગાળની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 29 મે 2025ના રોજ અલીપુરદુઆરમાં એક જનસભા દરમિયાન રાજ્યની તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર જબરદસ્ત પ્રહાર કર્યો. PM મોદીએ મુર્શિદાબાદ અને માલદા જિલ્લામાં વધી રહેલા ગુનાહિત પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે રાજ્યમાં ગુંડાગીરીને છૂટ આપવામાં આવી છે અને રાજ્ય સરકારે ન્યાય નહી, માત્ર નિર્દયતા આપી છે.
મોદીએ કહ્યું કે બંગાળમાં હિંસા, મહિલા અસુરક્ષા, બેરોજગારી અને ભ્રષ્ટાચારનો ધમાચોકડી ચાલી રહ્યો છે. તેમણે જણાવ્યું કે આ પાંચ કટોકટીઓએ પશ્ચિમ બંગાળને ઘેરી લીધું છે, અને ટીએમસી સરકાર માત્ર ગરીબોના અધિકારોથી રમે છે.
PM મોદીએ ખાસ કરીને આયુષ્માન ભારત યોજના અને વિશ્વકર્મા યોજનાના અમલ અંગે પણ મમતા સરકારને ઘેર્યું. તેમણે જણાવ્યું કે “આ યોજનાઓ હેઠળ દેશભરમાં લાખો લોકોને લાભ મળી રહ્યો છે, પણ ટીએમસી સરકારે બંગાળના લોકોને વંચિત રાખ્યા છે.”
આ ઉપરાંત, શિક્ષણની સ્થિતિ અંગે પણ મોદીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે “હજારો શિક્ષકો અને લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધૂરું રહી ગયું છે.” તેમણે આરોપ મૂક્યો કે ટીએમસી સરકારે ચા બગીચાના શ્રમિકોની મહેનતની કમાણી પણ લૂંટી લીધી છે.
મમતા બેનર્જીનો કડક જવાબ – “આવી ભાષા દુર્ભાગ્યજનક છે”
PM મોદીના આકરાં નિવેદનોના જવાબમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મીડિયાને જણાવ્યું કે, “મોદીજીના શબ્દો માત્ર આઘાતજનક નથી પણ દેશના મર્યાદિત રાજકારણ માટે દુર્ભાગ્યજનક છે.”
તેમણે કહ્યું કે દેશના વિપક્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. પરંતુ મોદી સરકાર રાજકીય પ્રતિસાધના માટે ‘ઓપરેશન સિંદૂર’ની જેમ ‘ઓપરેશન બંગાળ’ લાવવાની તૈયારીમાં છે એવી શંકા ઊભી થાય છે.
મમતાએ પડકાર આપતા કહ્યું, “જો મોદીજીને વાસ્તવમાં આત્મવિશ્વાસ હોય, તો આવતીકાલે ચૂંટણી લડી બતાવે!”






