WHOની ચેતવણી: કોરોના ફરી વધ્યો, રસીકરણ ચાલુ રાખવાની સલાહ
દુનિયાભરમાં ફરી એકવાર કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. WHOએ દેશોને રસીકરણ બંધ ન કરવા માટે ચેતવણી આપી છે.
જાહેરાત: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ ફરી એકવાર કોરોનાની વાપસી પર ચિંતા વ્યક્ત કરી છે. WHOના તાજા આંકડા પ્રમાણે, ફેબ્રુઆરી 2025થી SARS-CoV-2 વાઈરસની ગતિવિધિમાં નોંધપાત્ર વધારો થયો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, ટેસ્ટિંગમાં પોઝિટિવિટી રેટ 11% સુધી પહોંચી ગયો છે, જે ગયા વર્ષના જુલાઈ બાદ સૌથી ઉંચું પ્રમાણ છે.
આ વધારો ખાસ કરીને પૂર્વી ભૂમધ્યસાગર, દક્ષિણ-પૂર્વ એશિયા અને પશ્ચિમી પ્રશાંત વિસ્તારમાં નોંધાયો છે.
વેરિયન્ટમાં ફેરફાર, NB.1.8.1 ઉપર નજર
WHOના જણાવ્યા મુજબ, 2025ની શરૂઆતથી કોરોના વેરિયન્ટના ટ્રેન્ડમાં પણ બદલાવ આવ્યો છે. પહેલા વધતા LP.8.1 કેસ હવે ઘટી રહ્યા છે, જ્યારે NB.1.8.1 વેરિયન્ટ ઝડપથી વધી રહ્યો છે. WHOએ તેને Variant Under Monitoring તરીકે ચિહ્નિત કર્યો છે. મે 2025 સુધીમાં વિશ્વભરમાં નોંધાયેલા જીનોમિક સિક્વેન્સમાં તેનું પ્રમાણ 10.7% થઈ ગયું છે.
સ્પષ્ટ પેટર્ન નહીં, જોમદાર વ્યવસ્થા જરૂરી
WHOનું કહેવું છે કે, અત્યાર સુધી કોરોનાના ફેલાવાનો કોઈ ચોક્કસ પેટર્ન જોવા મળ્યો નથી. કેટલાક દેશોમાં હાલ પણ મોનીટરીંગ મિકેનિઝમ નબળી છે, જે ચિંતાજનક છે.
WHOએ સભ્ય દેશોને જોખમ આધારિત વ્યૂહ રચનાનો અમલ કરવા કહ્યું છે. ખાસ કરીને હાઈ રિસ્ક ગ્રુપ માટે રસીકરણ બંધ ન કરવાનો આગ્રહ કર્યો છે. રસી ગંભીર બીમારીઓ અને મૃત્યુના જોખમ સામે અસરકારક રક્ષણ આપે છે.
નવો વેરિયન્ટ JN.1 અને લોકો માટે ચેતવણી
દિલ્હીના AIIMSના પૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, હાલ જે વેરિયન્ટ સૌથી વધુ સંક્રમક છે તે JN.1 છે. તે ઓગસ્ટ 2023માં રિપોર્ટ થયો હતો અને હવે તે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલો છે.
આ વેરિયન્ટમાં એવા મ્યુટેશન છે જે વધુ ઝડપથી લોકોમાં ફેલાય છે. લક્ષણોમાં તાવ, શરદી, ખાંસી અને ગળામાં દુખાવો છે. ખાસ કરીને હ્રદયની બીમારી, ડાયાબિટીસ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે આ વધુ ખતરનાક છે.






