બાંગ્લાદેશમાં નવી ચલણી નોટો: શેખ મુજીબના ચિત્ર વગર, મંદિરોને સ્થાન
બાંગ્લાદેશમાં રાજકીય બદલાવના પડઘા હવે ચલણી નોટો પર પણ દેખાઈ રહ્યા છે. વડાપ્રધાન શેખ હસીનાની સરકાર હટ્યા પછી વચગાળાની સરકારે રવિવારે નવી ચલણી નોટો રજૂ કરી છે. ખાસ વાત એ છે કે આ નવી નોટોમાં દેશના સ્થાપક પિતા શેખ મુજીબુર રહેમાનનો ફોટો જોવા મળતો નથી.
શેખ મુજીબ—જે દેશના વડા પ્રધાન રહી ચૂક્યા છે અને વડાપ્રધાન શેખ હસીનાના પિતા પણ છે—તેમનો ચહેરો બાંગ્લાદેશની બધી જૂની નોટો પર
છપાયો હતો. પરંતુ આ નવી નોટોમાં તેમનો કોઈ ઉલ્લેખ નથી. તેના સ્થાને હિન્દુ અને બૌદ્ધ ધર્મસ્થળોના ચિત્રો મૂકવામાં આવ્યા છે.
બાંગ્લાદેશ બેંકના પ્રવક્તા આરિફ હુસૈન ખાને જણાવ્યું હતું કે નવી નોટો દેશના કુદરતી દૃશ્યાવલીઓ અને ઐતિહાસિક સ્થળોને દર્શાવે છે. હવે ચલણી નોટોમાં કોઈ માનવ ચહેરો નહીં હોય, પરંતુ પરંપરાગત સ્થળો, મંદિરો અને નૈસર્ગિક સૌંદર્ય દર્શાવતું દૃશ્ય સમાવિષ્ટ રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું કે 1971ના મુક્તિ યુદ્ધમાં શહીદ થયેલા લોકોને યાદ કરતા રાષ્ટ્રીય શહીદ સ્મારક, ઝૈનુલ આબેદિનની કલાકૃતિ અને વિવિધ હિન્દુ તથા બૌદ્ધ મંદિરોના દૃશ્યો પણ નોટોમાં છાપવામાં આવ્યા છે. હાલમાં ત્રણ અલગ મૂલ્યની નોટો જારી થઈ છે અને આગામી સમયમાં અન્ય મૂલ્યની નોટો પણ તબક્કાવાર બહાર પડશે.
આ બદલાવ માત્ર ચલણી નોટોની ડિઝાઇન સુધી સીમિત નથી, પણ તે રાજકીય અને સામાજિક દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે. દેશના ઐતિહાસિક નેતાઓના સ્થાને ધાર્મિક સ્થળોને મહત્વ આપવું એ વચગાળાની સરકારના નવા અભિગમ તરફ ઈશારો કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશે પ્રથમવાર ચલણમાં ફેરફાર નથી કર્યો. 1972માં, જ્યારે દેશે પાકિસ્તાનથી સ્વતંત્રતા મેળવી હતી, ત્યારે પણ નવું ચલણ રજૂ કરાયું હતું જેમાં નવી રાષ્ટ્રની ઓળખ દર્શાવવામાં આવી હતી.






